અલ નીનોની અસરને કારણે રાજ્યમાં ચોમાસું નબળું પડી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદ ન પડવાથી ખેડૂતો ચિંતિત છે. હવામાન વિભાગે 18 જુલાઈથી હવામાનમાં ફરી એક ફેરફાર અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. કેટલાક હવામાન મોડેલના અભ્યાસો દર્શાવે છે કે 18 જુલાઈની આસપાસ બંગાળના ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જેના કારણે ગુજરાત તરફ આવતા પવનમાં ભેજ આવી શકે છે અને ગુજરાતમાં ફરી વરસાદનો દોર શરૂ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જો આ સિસ્ટમ બને છે, તો પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, જુલાઈના અંતથી એટલે કે 27 જુલાઈથી રાજ્યમાં ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે?
હવામાન વિભાગની આગાહી મુજબ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવા વરસાદ પડી શકે છે.
ક્યાં ક્યાં હળવો વરસાદ પડ્યો?
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી સ્થિતિ જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. શામળાજી, રેલાવાળા, જીતપુર સહિત અનેક ગામોમાં વરસાદ પડ્યો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વડોદરાના ઝાલા, વાવડી, પ્રસરાવાડા, લોઢવા તેમજ કોડીનારના મૂળ દ્વારકા, ગોહિલના ખાણ અને કડવાસણ ગામમાં પણ વરસાદ પડ્યો.
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરવાનું શરૂ કર્યું છે. વિવિધ ખેડૂત સંગઠનો અને ખેડૂતોની સતત અપીલ બાદ, તેમણે ફરીથી હવામાન આગાહી કરવાનું શરૂ કર્યું છે. અંબાલાલ પટેલે અગાઉ એબીપી અસ્મિતા પર જાહેરાત કરી હતી કે તેઓ ફરીથી નિયમિત વરસાદની આગાહી કરશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 14 અને 15 જુલાઈ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તેમણે કહ્યું કે રથયાત્રાના દિવસે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વધુ આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 17 થી 18 જુલાઈ દરમિયાન એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થશે. ત્યારબાદ 23 જુલાઈએ બીજી એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે. તેમની આગાહી મુજબ, મહિસાગર, પંચમહાલ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, 23 થી 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મુંબઈ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

