ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી બાદ શનિવારે બપોર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય પંથક, અમરેલી અને ગીર તેમજ કચ્છ જિલ્લાના ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો. આ સ્થિતિના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. જો કે હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વેધર સાયન્ટિસ્ટ રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, 14 એપ્રિલને શનિવારે એટલે કે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની શક્યતા છે.
તાપમાન વિશે વાત કરતા હવામાન વૈજ્ઞાનિકે કહ્યું છે કે આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જે બાદ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. શનિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી નોંધાયું હતું. બંને શહેરોમાં 39 ડિગ્રી તાપમાન પણ રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો અહીં ત્રણ દિવસ સુધી અગવડતાની સ્થિતિ સર્જાશે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.
સૌરાષ્ટ્રમાં કેસર કેરી તૈયાર થઈ રહી છે અને માર્કેટયાર્ડમાં ટનબંધ ઘઉં, ચણા વગેરે ખુલ્લામાં ઠલવાઈ રહ્યા છે ત્યારે હવામાનમાં આવેલા પલટાથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. શનિવારે અમરેલી, ગોંડલ, કોટડાસાંગાણી અને કચ્છ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જીલ્લામાં કમોસમી વાદળો ઘેરાયા હતા. આ સાથે ધારીગીરના તરશિંગા, ગઢીયા, ચાવંડ પંથક અને ખાંભાના ભાણીયા, ધાવડીયા ગામમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે ગોંડલમાં ધાંધલ ધમાલ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કોટડાસાંગાણી તાલુકામાં પણ મોડી સાંજે હવામાનમાં અચાનક પલટો આવતા ખરેડા, રાજગઢ, માણેકવાડા, રામોદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો.
બીજી તરફ, રાજ્યભરમાં છેલ્લા 13 દિવસમાં કુલ 9435 કેસ નોંધાયા છે જેમાં ગરમીના કારણે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાની મદદ લેવી પડી હતી. જેમાં ખેડા જિલ્લામાં 162 અને આણંદમાં 127 લોકોને સારવાર આપવામાં આવી હતી. આ બે જિલ્લામાં હીટસ્ટ્રોકનો કોઈ કેસ નોંધાયો નથી પરંતુ રાજ્યના બોટાદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને સુરતમાં હીટસ્ટ્રોકનો એક-એક કેસ મળી આવ્યો હતો જે કુલ 108 માંથી 4 કેસ છે.