દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની ચેતવણી બાદ, વિદ્યાર્થીઓની સલામતી માટે વહીવટીતંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત અને નવસારી જિલ્લા વહીવટીતંત્રે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરતો સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે. વલસાડમાં ભારે વરસાદને કારણે પૂરનો ભય છે. 35 ઇંચ વરસાદને કારણે વલસાડ જળબંબાકાર બની ગયું છે. આ સાથે નવસારી અને સુરતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
વહીવટીતંત્રના મુખ્ય નિર્ણયો અને મહત્વપૂર્ણ વિગતો
સુરત જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ના આદેશ મુજબ, સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોની તમામ સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. નવસારી જિલ્લાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, આંગણવાડીઓ, કોલેજો અને ITI જેવી ટેકનિકલ સંસ્થાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. શાળા સંચાલકોને આંતરિક પરીક્ષાઓ કે અન્ય કોઈપણ બહાના પર વિદ્યાર્થીઓને શાળામાં ન બોલાવવા તાકીદ કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ, ખાડીઓમાં પૂરનું જોખમ અને પૂર્ણા અને અંબિકા નદીઓના વધતા પાણીના સ્તરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક બાદ લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ ગંભીર હોવાથી, ટ્રાફિક અને પોલીસ વહીવટીતંત્રને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વહીવટીતંત્રે વાલીઓને સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા અને ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવા વિનંતી કરી છે.

