ગુજરાતમાં વરસાદી સિસ્ટમ્સ એક સાથે સક્રિય થતાં ચોમાસુ વેગ પકડી રહ્યું છે. ટ્રફ, શીયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોસમી ટ્રફ અને લો-પ્રેશર એમ કુલ 6 સિસ્ટમ્સને કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે, આગામી 48 કલાક દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
આ જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી?
દક્ષિણ ગુજરાત સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ
જામનગર, બોટાદ, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ અને મહિસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને જામનગર જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
માછીમારોને દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે
દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે…માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે. બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે દ્વારકા, કચ્છ, જૂનાગઢ અને પોરબંદરના દરિયામાં 3.2 થી 3.5 મીટરના ઊંચા મોજા ઉછળવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલે શું આગાહી કરી હતી?
બીજી તરફ, પ્રખ્યાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગામી 48 કલાકમાં ચેતવણી આપી છે. તેમના મતે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહિસાગર, પંચમહાલ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે નાની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
નર્મદા ડેમમાં પાણીની આવક વધશે
૮ અને ૯ જુલાઈના રોજ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે. આ સાથે, મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા છે.
એક તરફ, મેઘરાજાના મહેરને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બીજી તરફ, ભારે વરસાદ અને પૂરની શક્યતાને લઈને વહીવટીતંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આગામી ૪૮ કલાક રાજ્ય માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. તેથી, જરૂર પડે ત્યારે જ ઘરની બહાર નીકળો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.

