એપ્રિલની શરૂઆતથી જ હવામાનમાં વારંવાર ફેરફાર થઈ રહ્યા છે. માર્ચમાં જ્યાં ગરમીનો અનુભવ થયો હતો, ત્યાં એપ્રિલમાં અચાનક હવામાનમાં ફેરફાર થયો છે. ગુજરાત સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતો ચિંતિત છે. તો ચાલો જાણીએ શું છે નવી આગાહી.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ પાછળનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય એશિયાથી આવતી ઠંડી અને ભેજવાળી હવા સિસ્ટમ છે. જે સામાન્ય રીતે શિયાળામાં વધુ સક્રિય હોય છે, પરંતુ આ વખતે એપ્રિલમાં પણ બે-ત્રણ ડિસ્ટર્બન્સ સતત સક્રિય થઈ રહ્યા છે. જેના કારણે ઉત્તર ભારતમાં વાદળછાયું વાતાવરણ, વાવાઝોડા, વરસાદ અને કરા જોવા મળી રહ્યા છે.
ઉનાળાના મધ્યમાં ગુજરાતના વાતાવરણમાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાતાવરણમાં મોટો ફેરફાર થયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાન વધવાથી લોકોને ગરમી અને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારબાદ હવામાન વિભાગે હવે ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે.
બીજી તરફ, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વાદળોનું જૂથ સક્રિય થયું છે, જેની સીધી અસર ગુજરાત પર પડશે. બનાસકાંઠા, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની પણ શક્યતા છે. 7 એપ્રિલના બપોર પછી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ વેગ પકડ્યો છે. જેના કારણે પવનની ગતિ 40 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 10 મીમીથી અડધા ઇંચ સુધી વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો, 15 એપ્રિલથી રાજ્યમાં ગરમીનું મોજું વધવાની શક્યતા છે અને તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ૨૬ એપ્રિલ પછી ગરમી વધુ તીવ્ર બનશે અને મે મહિનામાં આપણને ભીષણ ગરમીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે, ૧૧ થી ૨૦ મે દરમિયાન ધૂળની આંધી અને પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. ૧૭ મેની આસપાસ અરબી સમુદ્રમાં ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. જેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. ત્યારબાદ, ૨૪ મે થી ૪ જૂન સુધી ફરીથી વરસાદી વાતાવરણ રહેશે અને ૮ જૂનથી પવનની દિશામાં ફેરફારને કારણે હવામાનમાં મોટો ફેરફાર થશે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, લોકોને અગાઉથી તૈયારી કરવાની સલાહ આપવામાં આવી છે.

