આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી વચ્ચે, હવામાન વિભાગે બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. લો-પ્રેશર સિસ્ટમ અને ચોમાસુ ટ્રફની અસરને કારણે તેજ પવન, ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
આ સમયગાળા દરમિયાન પવનની ગતિ કલાકના ૪૫ થી ૫૫ કિમીની વચ્ચે રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. હાલમાં રાજ્યમાં વરસાદની ૯% ઘટ છે, પરંતુ વરસાદના આ રાઉન્ડથી આ ઘટ પૂરી થવાની આશા જાગી છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારબાદ વરસાદની તીવ્રતા ઘટી શકે છે અને હળવો વરસાદ પડી શકે છે.
દરમિયાન, બંગાળની ખાડીમાં હવામાનની નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર થાઈલેન્ડ ઉપર વાતાવરણના ઉપલા સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ) સર્જાવાની અને ૧૮ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર આંદામાન સમુદ્ર તરફ આગળ વધવાની ધારણા છે. આનાથી ૧૯ સપ્ટેમ્બરની આસપાસ આસપાસના વિસ્તારમાં લો-પ્રેશરનો વિસ્તાર (હવાનું હળવું દબાણ) સર્જાઈ શકે છે, જેનાથી વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
સરદાર સરોવરના જળસ્તરમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો થવાને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ઉપરવાસના વિસ્તારોમાંથી ૧.૩૦ લાખ ક્યુસેક પાણીની આવકને કારણે ડેમનું જળસ્તર ૧૩૭.૪૮ મીટર સુધી પહોંચી ગયું છે. હવે જળસ્તર ડેમની મહત્તમ ક્ષમતા કરતાં માત્ર ૧.૨ મીટર જ નીચે છે.

