અંબાલાલ પટેલની નવી આગાહી: લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની થશે ધમાકેદાર વાપસી, સપ્ટેમ્બરમાં જામશે અસલ ચોમાસું!

આગામી પાંચથી છ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.…

Varsad

આગામી પાંચથી છ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ સાત ટકા ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 31 ટકા વરસાદની ખાધ છે.

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં વરસાદ ખેંચાઈ રહ્યો હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. રાજ્યના વાતાવરણમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં, ભારે વરસાદની આગાહી નથી. દરમિયાન, હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ સુધી વરસાદને મજબૂત બનાવતી કોઈ સક્રિય હવામાન સિસ્ટમની શક્યતા ન હોવાથી, ભારે વરસાદની શક્યતા નથી. રાજ્યના ઘણા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

રાજ્યના વાતાવરણમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં લો-પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોનસુન ટ્રફ અને ઉપરના વાતાવરણમાં પશ્ચિમી વિક્ષેપનો સમાવેશ થાય છે. આ ચાર વરસાદી સિસ્ટમોના સંગમથી રાજ્યભરમાં ભેજવાળું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની ધારણા છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 26 થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યના હવામાનમાં ફેરફાર થશે અને હળવાથી ભારે પવન ફૂંકાઈ શકે છે. ત્યારબાદ, 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન સારા વરસાદની પ્રબળ શક્યતા છે. દરિયામાં જોરદાર પવન ફૂંકાશે અને હવામાનમાં અચાનક ફેરફાર થવાની શક્યતા છે.

જોકે, 12 સપ્ટેમ્બર પછી બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે, જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 20 સપ્ટેમ્બર પછી રાજ્યમાંથી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરી શકે છે, જોકે ઓછા દબાણને કારણે ભાદરવા મહિનામાં પણ વરસાદી વાતાવરણ ચાલુ રહેશે.

અંબાલાલ પટેલના મતે, સપ્ટેમ્બર દરમિયાન ‘અલ નિનો’ ની અસર રહેવાની શક્યતા છે. જોકે, ગ્રહો હાલમાં પાણીયુક્ત નક્ષત્રમાં હોવાથી વરસાદ ચાલુ રહી શકે છે. ખેતી માટે ખૂબ જ શુભ ગણાતા મઘ નક્ષત્રમાં પણ વરસાદ પડી શકે છે. ખાસ કરીને 27 ઓગસ્ટે સૂર્ય-બુધ અને ચંદ્રના પૃથ્વીથી દૂર જવાના કારણે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે. વધુમાં, ઓગસ્ટના છેલ્લા દિવસોમાં સૂર્ય પૂર્વીય ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે.