અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ, જળદાયક નક્ષત્રમાં ગુજરાત થશે પાણી-પાણી!

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સામાન્ય વરસાદની સ્થિતિ રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જારી કર્યું છે. વેસ્ટર્ન…

Varsad

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સામાન્ય વરસાદની સ્થિતિ રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જારી કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોનસુન ટ્રફ સક્રિય હોવાને કારણે, આજે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ તેમજ દમણ અને દાદર નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા સાથે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. અમદાવાદમાં પણ આજે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે 18 જુલાઈથી 24 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 18 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જ્યારે 19 જુલાઈથી 24 જુલાઈ સુધી, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ વરસાદમાં 32 ટકાનો ઘટાડો નોંધાયો છે. દ્વારકામાં 96 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે. રાજ્ય હજુ પણ ચાલુ સિઝનમાં વરસાદની મોટી અછતનો સામનો કરી રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 255.7 મીમી સામે માત્ર 137 મીમી વરસાદ નોંધાયો છે, જે 32% ઓછો છે. સૌથી ખરાબ પરિસ્થિતિ દ્વારકામાં છે, જ્યાં 96% ઘટાડો નોંધાયો છે, 233 મીમી સામે માત્ર 8.4 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદમાં 227 મીમી સામે 115 મીમી વરસાદ સાથે 47% ઘટાડો નોંધાયો છે.

બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અંગે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે, બુધ અને શુક્ર ગ્રહોની અશુભતાને કારણે, ચોમાસું અત્યાર સુધી મોડું થયું છે અને જરૂરી વરસાદ પડ્યો નથી. જોકે, ૧૯ થી ૨૧ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગો અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડશે. ત્યારબાદ ૨૨ જુલાઈથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થશે. ૨૪ થી ૨૬ જુલાઈ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલના મતે, જળ નક્ષત્રના યોગોને કારણે ૨૭ થી ૩૦ જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતા છે. ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ પડી શકે છે, વરસાદનો માર્ગ ઉત્તર ભારત તરફ રહેશે. ઓગસ્ટ મહિનામાં, સૂર્ય, ચંદ્ર, બુધ અને ગુરુ જળ રાશિમાં હોવાથી ખૂબ જ સારો વરસાદ પડશે. ખાસ કરીને ૯ થી ૧૧ ઓગસ્ટ દરમિયાન, રાજ્યમાં અશ્લેષા નક્ષત્ર અસ્ત થતાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.